આર્ટીકલ

6/recent/ticker-posts

ખુદાની બંદગી શા માટે?

     


    ખુદાની બંદગી શા માટે? 

એક દિવસ બે ભાઈઓ સાધ્વીજી(સ્ત્રીસંત) પાસે આવ્યા અને પૂછ્યું, ‘અમે રોજ પાંચ વાર નમાજ પઢીએ છીએ. કુરાન શરીફનો પાઠ કરીએ છીએ. અમારી બંદગીમાં કંઈ ખામી નથી રહી જતીને એટલું જ અમારે જાણવું છે.’

સાધ્વીજી(સ્ત્રીસંત)એ પૂછ્યું, ‘આપ ખુદાની બંદગી એકાગ્ર ચિત્તે કરો છો? એ કરવા પાછળનું કારણ શું છે એ જણાવો.’

એક ભાઈએ કહ્યું, ‘હા, હું બંદગી મન દઈને કરું છું અને એ કરવાનું કારણ એ છે કે મને જહન્નમનો બહુ ડર લાગે છે. ખુદાની બંદગી ન કરું અને એશોઆરામમાં બધો જ વખત વિતાવી દઉં તો ખુદાતાલાનો ખોફ મારા પર ઊતરે અને મને જહન્નમની સજા મળે.’

સાધ્વી(સ્ત્રીસંત)એ તેમનો જવાબ સાંભળી લીધો. પછી બીજા ભાઈની સામે જોયું.

બીજા ભાઈએ કહ્યું, ‘હું સાચી લગનથી બંદગી કરું છું. આપણે બધા જ જાણીએ છીએ કે ખુદાનું જન્નત ખૂબ જ સુંદર-અદ્ભુત છે. અહીં જીવનમાં ભલે સુખ:દુખ આવ્યા કરે, પણ મોત બાદ જન્નતનાં સુખો મને મળે એ માટે હું બંદગી કરું છું.’

       થોડી વાર મૂંગાં, વિચારમગ્ન રહ્યા બાદ સાધ્વીજી(સ્ત્રીસંત)એ જવાબ આપ્યો, ‘ભાઈઓ, આપ બન્નેની બંદગીમાં સાચા પ્રેમની ખામી છે. ભાઈઓ, ખુદા આ જગતના રચયિતા છે. આપણા બધાના માલિક છે. આપણે તેમની બંદગી સ્વાર્થવશ લાલચી બની કંઈક મેળવવા કે કોઈ દંડ-સજાથી બચવા, ડરપોક બનીને નથી કરવાની. જન્નતનું સુખ અને જહન્નમના દુ:ખને એક બાજુએ મૂકી દઈ આપણે માત્ર ખુદા પ્રત્યેના પ્યારને જ લક્ષમાં રાખીને સાચી બંદગી કરવી જોઈએ.’

    એક ભાઈએ પૂછ્યું, ‘સાચી બંદગી એટલે શું?’ 
   
   સાધ્વીજી(સ્ત્રીસંત)એ કહ્યું, ‘પરમ શ્રદ્ધા-પ્રેમથી કરેલી બંદગી, કંઈક મેળવવાની આશા વિના કરેલી બંદગી, એવી બંદગી જે ખુદાતાલાના કાન સુધી પહોંચે. જો અલ્લાહ પ્રત્યેના પ્રેમથી આપણું હૈયું છલોછલ ભરેલું રાખીએ. માછલી જો પાણી વિના રહી શકે તો આપણે ખુદાની બંદગી વિના રહી શકીએ, તેમને યાદ કર્યા વિના રહી શકીએ. આવી લગની જ્યારે ખુદા પ્રત્યે લાગશે ત્યારે જ કરેલી બંદગી સાચી ગણાશે.’

        ખુદાની બંદગી અને ઈશ્વરભક્તિનો સાચો માર્ગ જણાવનાર તે સાધ્વી(સ્ત્રીસંત) હતાં ઈશ્વરમય મસ્તીભર્યું જીવન જીવનાર મુસ્લિમ સ્ત્રીસંત રાબિયા બસરિયા રહ.


Post a Comment

0 Comments