આર્ટીકલ

6/recent/ticker-posts

હું તો આવો જ છું બોલો શું કહેવું છે..


 હું તો આવો જ છું બોલો શું કહેવું છે......

આવું વાક્ય આપણને ઘણીવાર સાંભળવા મળે છે. ક્યારેક વાક્ય બોલનાર ભાઈ હોઈ શકે છે. ક્યારેક બેન હોઈ શકે છે" ક્યારેક મિત્ર હોઈ શકે છે ક્યારેક કોઇ જવાબદાર વ્યક્તિ પણ હોઈ શકે છે હું તો આવો  જ છું. બોલો શું કહેવું છે?" અથવા તો" શું કરવું છે.. .?"

    આવું જ વાક્ય કોઈ માણસ જાહેર કરે છે ત્યારે તેઓ જણાવે છે" હું સારો છું કે ખોટો છું જે છું તે આ છું. હવે આમાં કોઈ ફેરફાર થશે નહીં ફેરફાર કરવાની કોઇ ગુંજાઇશ છે નહીં ફેરફાર કરવાની ઈચ્છા પણ કોઈ છે નહીં તમારે જો એ સ્વીકારવાની ગણતરી હોય તમને જો મારી ગરજ હોય તમને જો પાલવતું હોય તો તમે મારી સાથે સંબંધ રાખો. નહીં તો તમે તમારા રસ્તે અને અમે અમારે રસ્તે.!!" 


     માણસ જ્યારે આવું બોલે છે અથવા આવું માને છે. ત્યારે બે બાબત છે. એક તો પોતે સુધારો કરવા માગતા નથી. બીજું છે આ વ્યક્તિ બીજાથી છૂટવા માગે છે. સુધારો કરવા માંગતા નથી એ વાતનો સુધારો થવો જરૂરી છે. સુધારો આપણે એટલા માટે કરવાનો નથી કે લોકો એવું ઇચ્છે છે. સુધારો તો આપણે આ જીવનને બહેતર બનાવવા માટે, આસાન અને અનુકૂળ બનાવવા માટે કરવાનો છે.


     તમે જોયું હશે ઘણીવાર લાકડાની વસ્તુ બનાવનાર સુથાર બધું જ સરસ કર્યા પછી વસ્તુને આકાર આપ્યા પછી એના ઉપર રંધો મારે છે. રંધો એ બીજું કશું નથી, જે વસ્તુ બનાવાની હતી, બની ગઇ છે. સીધી કામમાં લાગે એવી કક્ષાની પણ છે, પરંતુ એના ઉપર રંધો મારવાથી લાકડાની ઉપરની સપાટી લીસી થાય છે. લાકડા ઉપરથી ખરબચડું નાબૂદ થાય છે. જ્યાં સુધી ખરબચડું રહે છે, ત્યાં સુધી એનો સ્પર્શ આપણને અને સૌને માટે સારો રહેતો નથી. હાથ છોલાય છે..!!

     નિર્જીવ વસ્તુને આટલી બધી માવજત મળતી હોય ત્યારે આપણા સજીવ સ્વભાવને થોડોક રંધો વાગી જાય એમાં ખોટું શું છે? થોડું સુપર ફાઇન થઈ જાય બીજા લોકો સાથેનું એડજસ્ટમેન્ટ સુધરી જાય હા... મારા ખરબચડામાં થોડો ઘણો સુધારો કરીશ, પ્રયત્ન કરીશ આવો હકારાત્મક સંદેશ જાય તો સામેવાળાને ગમશે. હવે મારામાં કોઈ સુધાર આવશે જ નહીં જે છે તે આ જ છે, પોસાય તો લો પોસાય તો સંબંધ રાખો. આવા છેલ્લી કક્ષાના વિધાનો આપણી સાથેના લોકોને જોડવાની જગ્યાએ તોડે છે



    આપણે આપણું આખું જીવન બદલી નાખવું નથી, એ આપણા હાથની વાત પણ નથી. આપણા મૂળ સ્વભાવથી વિરુદ્ધનું જીવન બનાવવું શક્ય પણ નથી, પરંતુ વ્યક્તિ વચ્ચેના સંબંધમાં જેમ કંપનીઓ સાથે એમઓયુ થાય છે. તેવી રીતે એમઓયુ થઈ શકે અને કોમન મીનીમમ પ્રોગ્રામ વિચારી શકાય. આપણે જેટલો ફેરફાર કરી શકીએ સામેવાળા પણ અપેક્ષામાં ફેરફાર લાવે તો એક પોઈન્ટ ઉપર મેળ પડતો હોય છે. આમાં કશું જ ખરાબ નથી. કશુય ખાસ ગુમાવવાનું નથી. 


      આપણે આપણને સુધારવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરીએ, પરંતુ તેમ છતાં જે ફેરફાર ના થઈ શકે ભવિષ્યમાં થશે તેવી શક્યતા સાથે આપણે રાખીએ. અને સામેવાળાને સાફ કરાવી દઈએ કે આ મારી મર્યાદા છે. મેં ઘણી કોશિશ કરી સુધારો આવતો નથી. એટલે તમે જરા દરગુજર કરશો. તો સામેવાળો પ્રેમથી માંગો તેના કરતાં વધારે આપે છે. જરૂર પડે તો જતું કરે છે, પરંતુ જ્યારે” હું તો આવી જ છું. હું તો આવો જ છું, હું તો અભણ છું, હું તો ખરાબ છું" એવા વિધાનો કહીએ છીએ ત્યારે એમાં એક અહંકાર દેખાય છે. જાણે કે સંબંધની ગરજ માત્રને માત્ર સામે વાળાને જ છે. તમારે તો કોઈ લેવાદેવા નથી. આ કક્ષાએ કહેવું એ વાજબી નથી. 


      એટલે હવે પછી આપણી નજીકના માણસોને" હું તો આવો જ છું. ફેરફાર થશે નહીં. એને સ્થાને અત્યાર સુધી હું આવો છું, પરંતુ તમને મળ્યા પછી, તમારી પાસેથી વાતો જાણ્યા પછી, હું મારામાં ફેરફાર લાવવાનો પ્રયત્ન કરીશ. એ જ્યાંસુધી ના આવે ત્યાં સુધી મારી આ વૃત્તિને દરગુજર કરો 

     જો આપણે સામેવાળાને આવો અહેસાસ કરાવીએ છીએ ત્યારે સામે વાળો ડબલ તાકાતથી આપણી સાથે જોડાય છે. એનો આનંદ છે અને જેને તમારાથી દૂર કરવા છે, તે કરવાના બીજા અઢળક રસ્તાઓ છે. ત્યાં આવા રસ્તા કરવાની જરૂર નથી. 


  જીવન એક સતત સુધરતી આવૃત્તિ છે. કોઈ ચોક્કસ મુકામે આવી ગયા પછી, કોઈ ફેરફાર થશે નહીં એવું હોતું નથી. આપણે જેવા છીએ ફેરફાર કરી શકીએ છીએ.  એમાંય ખાસ તો સ્વભાવ છે. પ્રાણને પ્રકૃતિ મરે ત્યારે જાય. તે ભલે કહેવાતું પરંતુ આપણે આપણી પ્રકૃતિની કેટલીય બાબતો સમજણપૂર્વક સુધારી શકીએ છીએ એવું કરવામાં આપણું શું જાય છે?? ચાલો ત્યારે. આપણે આપણા રમકડાને કહીએ કરો રમકડાં કૂચ કદમ..!!



Post a Comment

0 Comments