આર્ટીકલ

6/recent/ticker-posts

પરિવાર ,કુટુંબ અને સમાજના ઘડતરમાં "સમજણ" નો ગુણ અનિવાર્ય.

પરિવાર ,કુટુંબ અને સમાજના ઘડતરમાં "સમજણ" નો ગુણ અનિવાર્ય.



....✍✍✍✍🇮🇳🇮🇳🇮🇳
         *શિક્ષિત, દિનદાર, અને માલદાર થયા પછી આપણી અંદર એક આવશ્યક ગુણ પેદા થવો જરૂરી છે તે ગુણ  છે  સમજણ. એટલે કે એક વ્યક્તિની સામેના વ્યક્તિને સમજવાની બુદ્ધિમાં વધારો થવો જોઈએ. કોઈ પણ પરિસ્થિતિ, ઘટના, વ્યક્તિઓના વિચારો ને સમજવાની પ્રજ્ઞા તેનામાં વિકસિત થવી જોઈએ. શું આજનું દિન અને દુનિયાનું શિક્ષણ એ આપે છે ?
  શિક્ષણથી દિનદારીથી અને માલદારીથી સમજણ વધી હોય તો સામેના વ્યક્તિને માન આપતા અને પ્રેમપૂર્વક વ્યવહાર કરતા શીખવું જોઈએ. આમ થવાને બદલે અત્યારે નાના-મોટા દૂરના નજીક ના સંબંધોમાં, નાની-મોટી ઑફિસોથી લઈને મોટી મલ્ટિનેશનલ કંપનીઓમાં સ્ટાફ વચ્ચે અને નાના મોટા વેપારીઓ વચ્ચે અંદર અંદર પોલિટિક્સ રમાય છે ! શું આવું કરવા માટે આપણે દિન અને દુનિયાનું શિક્ષણ મેળવ્યું છે? શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો એકબીજાના ટાંટિયા ખેંચવાની બુદ્ધિ પૂર્વકની રમતો ચાલતી હોય છે. દરેક સમાજમાં આવી ફરિયાદો ઉઠી છે. અત્યારના દરેક પ્રકારના દુનિયા અને ધાર્મિક શિક્ષણે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું અંતર ઘટાડવાની જગ્યાએ વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું અંતર વધારી મૂક્યું છે.
  આપણે ભણ્યા હોઈએ અને તાલીમ મેળવી હોય તો આપણામાં એટલી સમજણ હોવી જોઈએ કે જીવનમાં બધાને બધી વસ્તુ નથી મળતી. તેથી કોઈ આર્થિક રીતે સામાન્ય હોય તો તે ક્દાચ ન ભણી શકે. કોઈ બૌદ્ધિક રીતે સામાન્ય હોય તો તેણે ભણવાની કોશિશ કરી હોય અને સફળ કદાચ ન થયો હોય. કોઈને સામાજિક જવાબદારીઓ હોય કે અન્ય કોઈ પ્રતિકુળતા હોય,  કેટલાક નિર્ણયો ખોટા પડ્યા હોય કે ભૂલ થઈ હોય તો તેનાથી અમુક શિક્ષણ કે અમુક વસ્તુઓ પ્રાપ્ત ન થઈ શકી હોય કે ધંધામાં પ્રગતિ ન કરી શક્યો હોય એવા વ્યક્તિઓને મદદરૂપ થઈને તેમના જીવન સ્તરને આગળ લાવવાનું દરેક પ્રકારના શિક્ષણ અને ઈલ્મ મેળવેલા લોકોનું કર્તવ્ય છે. દરેક ધર્મનો ઉપદેશ છે... 
   તમે ભણો ગણો, આગળ વધો અને મોટી ઈન્ડસ્ટ્રી કે બિઝનેસના માલિક બનો એ સારી વસ્તુ છે, પરંતુ તેમ થઈને તમારે ત્યાં 10-20 પરિવારના લોકોની રોજગારી નભે કે કુટુંબ ગામ કે સમાજના કેટલાક ભાઈઓને વ્યાપાર ધંધો કરતા શીખવી અને એ લોકોના કુટુંબનું ભરણપોષણ થાય એ રીતે પોષક બનવાનું છે, ઓછા પૈસા આપીને વધારે લાભ લેવાની વૃત્તિ કેળવનારા કે તેમનું મનોબળ તોડનારા શોષક નહી ! કુદરત તો એનું બધું બેલેન્સ કરી જ લેશે, આપણે આમ નહિ આપીએ તો આમ જ્શે ! બીજાના આત્મવિશ્વાસ અને મનોબળને નુકસાન પહોંચાડીને કે પોતાના કર્મચારીઓનું શોષણ કરીને લાખો બચાવનાર ક્યારેક કરોડોમાં ન્હાય છે. ખોટા વજનિયાં રાખીને ગ્રાહકોને તોલમાં ખોટ કરાવનાર શાકભાજી વાળાના બે-ચાર બટાકા કે દૂધી, ગાય આવીને ખાઈ જાય ત્યારે બધો હિસાબ બરાબર થઈ જાય છે !
  જે શિક્ષણ અને ઈલ્મ માનવતાના મૂલ્યોને દ્રઢ ના કરે એ શિક્ષણ અને તાલીમનો શું અર્થ ? શું આપણે આપના સ્વાર્થની રમતો રમવા માટે ભણ્યા છીએ અને તાલીમ મેળવી છે? આપણે વિકસાવેલા સંબંધો જ આપણને ક્યારેક કામમાં આવે છે. સમાજથી કે કુટુંબ સગાવહાલાઓ થી દૂર રહીને ‘ઈન્ડિપેન્ડન્ટ’ ના નામે ખોટો ડોળ કરીને જીવવું એ સમજદારી કે સફળતા નથી, એ તો એકાકીપણું અને સ્વાર્થવૃત્તિ છે. સાચો શિક્ષિત અને માલદાર વ્યક્તિ માનવીય સંબંધોને અને પ્રેમને મહત્વ આપીને સૌની સાથે રહીને સૌની  વચ્ચે એક થઈને જીવતો હોય.

  સ્પર્ધા અને આગળ નીકળી જવાની માનસિકતા ત્યાગ કરી... રસપૂર્વક મેળવેલ દિન દુનિયાના શિક્ષણ નો સદુપયોગ કરી પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધીને શ્રેષ્ઠતમ કાર્ય કરીને ઉત્તમ સાધનોથી જીવનને ઉત્તમ માનવીય ગુણોથી દીપાવવાની વાત છે. ભૌતિક પ્રગતિનો વિરોધ નથી, પરંતુ તમામ ભૌતિક પ્રગતિએ માનવીના જીવનને સુંદર અને જીવવાલાયક બનાવવા માટે છે, નહિ કે માનસિક તાણ, સંકુચિતતાઓ અને અસમાનતા વધારવા માટે. શિક્ષણ અને ધર્મના વિવિધ પાસાઓ પર આપણે સૌ એ વિચાર કરવો રહ્યો....✍✍✍*


ઈસરાઈલ અરોડિયા


Post a Comment

0 Comments