આર્ટીકલ

6/recent/ticker-posts

સમાજના વડીલો, આગેવાનો, આલીમો અને શિક્ષકો યુવાઓ ને મૂલ્યવાન બનાવે છે


     સમાજના યુવાઓ અને બાળકો પેન્ટિંગ કરવાના કોરા કેનવાસ સમાન હોય છે. વ્યક્તિત્વથી કોરા હોય છે. જેવી રીતે એક ચિત્રકાર બ્રશ (પીંછી), કલર અને કલાકારી નો ઉપયોગ કરી સુંદર ચિત્ર બનાવી કેનવાસ ને મૂલ્યવાન બનાવે છે. ચિત્રકારની નાની અમથી ભૂલ કેનવાસ ને મૂલ્યવાન ને બદલે શૂન્યવાન બનાવી દે છે તેવી જ રીતે માતા-પિતા, કુટુંબ-ગામ અને સમાજના વડીલો- આગેવાનો અને સ્કૂલ-મદ્રેસાના શિક્ષકો જ્ઞાન, વાણી, વર્તન અને વ્યવહાર નો સદુપયોગ કરી બાળકો અને યુવાઓને મૂલ્યવાન બનાવે છે અને તેમની બેફીકરી શૂન્યવાન, અસંસ્કારી અને બેરોજગાર બનાવે છે.
      મોટાભાગે બાળકો-યુવાઓ અને સમાજના નાગરિકો માટે માતા-પિતા, શિક્ષક-આલીમો, વડીલો અને આગેવાનો તેમના માટે આદર્શ હોય છે. નમૂનારૂપ હોય છે. રોલ મોડલ હોય છે. નાગરિકો તેમનું અનુકરણ કરવાનું પસંદ કરતા હોય છે માટે વડીલો અને આગેવાનોએ નાગરિકો માટે પ્રેરણાસ્ત્રોત બનવું જરૂરી છે. બાળકો, યુવાઓ અને નાગરિકોનું વાણી, વ્યવહાર અને વર્તન એ માતા-પિતા, શિક્ષક-આલીમો, વડીલો-આગેવાનોના વાણી વ્યવહાર અને વર્તન  નું પ્રતિબિંબ છે.
    સંસ્થા સંગઠન કે સમાજના આગેવાન ની સિદ્ધિ મેળવવા માટે પક્ષ કે સંગઠનની ખુરશી ,પદ ,કે કાર્યક્રમોમાં ઉચ્ચ સ્થાન પર બિરાજમાન થવાની કોઈ જરૂર નથી. વ્યક્તિનું વ્યક્તિત્વ, વિચારધારા અને પર્સનાલિટી વડીલની-આગેવાનની કાબેલિયત, લાયકાત, ખુરશી ,પદ અને સ્થાન નક્કી કરે છે.

"સિંહાસન પર જે બેસે એ સિંહ  નથી હોતો, સિંહ જે આસન પર બેસે એ સિંહાસન હોય છે."

વડીલ તરીકેની કે આગેવાન તરીકેની સિદ્ધિ અને પ્રતિષ્ઠા મેળવવા કોઈ ખુરશી, પદ કે ઊંચા સ્ટેજ પર બીરાજમાન થવાનો આગ્રહ.... રાજકીય પાર્ટી  અને સંગઠનના  અલગ-અલગ પદનો આગ્રહ ન રાખવો જોઈએ.. સ્વયં સિંહ  જેવી પર્સનાલિટી અને વ્યક્તિત્વ નિર્માણ કરવું જોઈએ જેથી તમારું આસન સિંહાસન બને અને બાળકો- યુવાઓમાં  સુંદર વ્યક્તિત્વ માટે નમૂનારૂપ વ્યક્તિત્વ મળે.

       મુકેશ અંબાણી પટાવાળા ની ખુરશી પર બેસે તો એ પટાવાળા નથી બની જતો. પટાવાળો મુકેશ અંબાણી ની ખુરશી પર બેસે તો મુકેશ અંબાણી નથી બની જતો. આમ નાગરિકો માટે રોલ મોડલ અને આદર્શ બની ને ખુરશી કે ઉચ્ચ સ્થાનની આગ્રહથી દૂર રહી વડીલો -આગેવાનોએ, માતા-પિતાએ અને શિક્ષક-આલીમોએ વ્યક્તિત્વ વિકાસ પર ધ્યાન આપવાની ખુબ જરૂર છે.

આજના બાળકો યુવાઓ અને નાગરિકનું વર્તન તેણે મેળવેલ કેળવણી નું પ્રતિબિંબ છે. ભૂતકાળમાં  તે પણ એક બાળક જ હતું  અને તેનું ઘડતર તેના માતા-પિતા દ્વારા થાય છે માતા પિતા નું ઘડતર કુટુંબના વડીલો દ્વારા થાય છે કુટુંબના વડીલો નુ ઘડતર ગામના આગેવાનો દ્વારા થાય છે ગામના આગેવાનોનું ઘડતર સમાજના આગેવાનો દ્વારા થાય છે સમાજના આગેવાનોનું ઘડતર ધર્મગુરુઓ અને કોમના માર્ગદર્શકો દ્વારા થાય છે. હવે આપણે નક્કી કરીએ કે વર્તમાન સમયના બાળકો, યુવાઓ અને નાગરિકના વર્તન માટે કોણ જવાબદાર છે?... બાળકો, યુવાઓ અને નાગરિકો પોતાની ફરજો અને જવાબદારીઓ પ્રત્યે અજ્ઞાન કેમ છે? 
    કારણકે જવાબદાર વર્ગ પોતાની ફરજો અને જવાબદારીઓ નિભાવી સારા વ્યક્તિત્વનું ઉદાહરણ પૂરું પાડી શક્યા નથી. અને નાગરિકોને પોતાની ફરજ અને જવાબદારી નિભાવવા  આગ્રહ કરતા નથી તેથી નાગરિક પોતાના હક અને અધિકારો માટે અવાજ ઉઠાવી શકતો નથી. તેની જિજ્ઞાસાવૃત્તિ, કુતૂહલ વૃત્તિ અને પ્રશ્નવૃત્તિને નાની મોટી ભૂલો માટે અપમાનિત કરી અને ટીકા-ટિપ્પણી થી દબાવી દેવામાં આવી છે. જે સુંદર વ્યક્તિત્વના નિર્માણ માટે તેને નીખારવી ખૂબ જ જરૂરી છે.