*પુસ્તક વાંચનના અનેક ફાયદા* ...✍✍✍
*પુસ્તક વાંચનથી આપણી જાણકારી અને જ્ઞાનમાં વધારો તો ચોક્કસપણે થાય જ છે, સાથે સાથે તેની આપણા તન અને મન પર અનેક સારી અસરો પડતી હોય છે. સંશોધનો થકી પુરવાર થઈ ચૂક્યું છે કે પુસ્તક વાંચન વ્યક્તિના મનને શાંત કરે છે. મનની વ્યગ્રતાને ઓછી કરે છે અને તમને અંતરથી શાંતિની અનુભૂતિ કરાવે છે. પુસ્તક વાંચન તણાવને ઓછો કરવાની અકસીર દવા સમાન છે. નિષ્ણાતો સલાહ આપે છે કે રોજ રાત્રે સૂતા પહેલાં પુસ્તક વાંચવું જોઈએ. આ સલાહ પાછળનું લૉજિક એ છે કે પુસ્તકનું વાંચન ક્વૉલિટી ઊંઘ લેવામાં પણ મદદરૂપ બને છે.
એક સંશોધનના તારણ અનુસાર ધાર્મિક કે આધ્યાત્મિક વાંચનથી આપણું બ્લડપ્રેશર ઓછું થાય છે. આપણે રિલેક્સ ફીલ કરી શકીએ છીએ. પુસ્તક વાંચવાનો એક મોટો ફાયદો એ છે કે તે આપણી એકાગ્રતામાં વધારો કરે છે. વળી, પુસ્તક વાંચનારની યાદશક્તિ પણ સતેજ બનતી હોય છે. પુસ્તક વાંચનથી વ્યક્તિની કલ્પનાશક્તિ પણ મજબૂત બનતી હોય છે. પુસ્તક વાંચનથી આપણું દિમાગ વધારે સક્રિય બને છે અને દિમાગનો સારો વિકાસ થાય છે.
પુસ્તકો અરીસા જેવા છે. તે આપણને આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. એક લેખકે સાચું જ કહ્યું છે કે “તમે શું વાંચો છો એ મને કહો તો તમે કેવા છો એ હું તમને કહી શકીશ”. પુસ્તકો સાથે મૈત્રી રાખનાર માનવી ને કદી એકલાપણું સાલતું નથી કેમકે પુસ્તકો ના પાને પાને અક્ષરદેહે અમર થઈ ગયેલા મહાપુરુષો બિરાજે છે.
ખરેખર “સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું હોય છે”. ધાર્મિક પુસ્તકોના વાંચનથી આપણને આપણો ભવ્ય વારસો ,સંસ્કૃતિ વગેરે જાણવા મળે છે. ભગવદ ગીતા, રામાયણ, મહાભારત, વેદો, પુરાણો, બાઈબલ, કુરાન, ગુરૂ ગ્રંથ સાહેબ ,અવેસ્તા આવા ધાર્મિક ગ્રંથોએ માનવીના જીવનમાં ખૂબ જ મોટું પરિવર્તન લાવવામાં મોટો ફાળો આપ્યો છે.
કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે, ‘જેવી રીતે શરીરને માટે કપડાં, બુટ અને ચંપલ વગેરે ચીજ વસ્તુની જરૂર પડે છે તેવી રીતે મનને માટે પુસ્તકોની જરૂર પડે’ માણસ માટે પુસ્તકો ત્રીજી આંખ કહેવાય છે તે જીવનના લક્ષ સુધી પહોંચવા માટે મદદરૂપ થાય છે.
ગાંધીજીએ પુસ્તકોથી દુર થતા માનવીને સંદેશો આપતા કહ્યું છે કે “પુસ્તકોનું મૂલ્ય રત્નો કરતાંય અધિક છે” જીવનને નવી દિશા આપવા માટે સારા પુસ્તકો ખૂબ જ મદદરૂપ નિવડે છે. ઘણી વખત માણસ નિરાશાની માયા જાળ વચ્ચે ફસાઈ જાય છે તારે તે માંથી બહાર નીકળવું ખૂબ જ કઠીન હોય છે એવા સમયે સારા પુસ્તકોનું વાંચન કરવાથી જીવન જીવવાનો માર્ગ મળી રહેતો હોય છે.
વાંચનના ફાયદા:
1. તમને તમારા માટે સમય મળશે.
2. નવું નવું જાણવા મળશે.
3. તમને ક્યારે પણ એકલપણું નહી લાગે.
4. મન શાંત રહેવા માંડશે.
5. સૂતા પહેલા વાંચન કરવાથી સરસ ઊંઘ આવશે.
6. તમારી એકાગ્રતા વધશે.
7. ચિંતાનું પ્રમાણ ઘણું ઓછું થશે.
8. લખવાની કળા પણ ઘણી વધશે.
9. વિચાર શક્તિ અને યાદ શક્તિ પણ સારી રહેશે.
10. આ એક ખૂબ જ મહત્વનું investment છે.
પુસ્તકો વાંચનારાનું દિમાગ સામાન્ય લોકો કરતાં 32 ટકા વધારે યુવાન રહે છે. અલ્ઝાઇમર અને ડિમેન્શિયા જેવી બીમારીને પણ પુસ્તક વાંચીને દૂર રાખી શકાય છે. સ્કોટલેન્ડમાં થયેલા એક સંશોધન અનુસાર પુસ્તકાલયમાં જઈને નિયમિત વાંચનારાનું સ્વાસ્થ્ય અન્ય લોકો કરતાં 20 ટકા વધારે સારું જોવા મળ્યું હતું.
... .✍✍✍
0 Comments
Coments